હોળીકા દહન : પાલજ ગામમાં 700 વર્ષથી આ પરંપરા નિભાવાઈ રહી છે. અહીં 30 x 35 ફૂટની આકૃતિવાળી હોળી પ્રગટાવવામાં આવે છે, જેના ધગધગતા જ્વાળાઓ આશરે 100 ફૂટ સુધી ઊંચા ઉઠતા જોવા મળે છે.
આ અનોખો અને અલૌકિક દૃશ્ય દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
હોળી પ્રગટ્ય માટે દસથી પંદર દિવસ પહેલાં જ તૈયારીઓ શરૂ થઈ જાય છે. ગામના યુવાનો 200 થી 300 ટન લાકડાં ભેગા કરે છે અને 35 ફૂટ ઊંચી હોળી માટે સુવિધાઓ ગોઠવે છે. આ સમયે કેરી, મહુડો અને રાયસના ડોડાના હાર બનાવવાની પરંપરા છે અને ભક્તો હોળીની પરિક્રમા કરે છે. માન્યતા છે કે આ તાપ લીધા પછી વર્ષ દરમિયાન શારીરિક તકલીફો રહેતી નથી.
હોળીના દિવસે ગામમાં મેળાનું પણ આયોજન થાય છે, જેમાં આજુબાજુના ગામડાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ પર્વની વિશિષ્ટતા એ છે કે હોળીના જ્વાળાની દિશા પરથી આવનાર વર્ષ માટે ભવિષ્યવાણી કરવામાં આવે છે. આ પરંપરાએ પાલજ ગામને ગુજરાતભરમાં આગવી ઓળખ અપાવી છે.
